ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજીને સરકારી નોકરીઓમાં નકલી જાતિ પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવવાનું એક બહુ મોટું કૌભાંડ મીડિયા સમક્ષ ઉજાગર કર્યું છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, કેટલાક ચોક્કસ ઉમેદવારોએ મૂળ ઓબીસી કેટેગરીના હોવા છતાં ગેરકાયદેસર રીતે એસટી ના પ્રમાણપત્રો મેળવીને સરકારી નોકરીઓ હડપી લીધી છે.
નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા
યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરતાં નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વસુંધરા ગામમાં કોઈ આદિવાસી વસ્તી ન હોવા છતાં, ત્યાંથી ખોટી રીતે આ જ્ઞાતિના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. ઓબીસી કેટેગરીમાં આવતા હોવા છતાં આ ઉમેદવારોએ એસટી અનામતનો લાભ લઈને લાયક આદિવાસી યુવાનોના હક પર ત્રાપ મારી છે. આ ઘટનાને પગલે જે-તે ગામની આખી ડેમોગ્રાફી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે.













