મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને તેમના વિભાગો દ્વારા આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિ-માસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મુખ્ય સચિવપંકજ જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ ગુજરાતને અગ્રેસર રાખવા વિકસિત ગુજરાત રોડમેપના સમયબદ્ધ કાર્યઆયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.
વહીવટી મંજૂરીઓ પણ પ્રથમ ક્વાર્ટરમાં જ આપી દેવામાં આવી
તેમણે ખાસ કરીને જનકલ્યાણલક્ષી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને જરૂરતમંદ લાભાર્થીઓને 100 ટકા લાભ પહોંચાડીને બજેટના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સૂચનો કર્યા હતા. બેઠકમાં નાણાં વિભાગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તેમના બજેટની યોજનાકીય જોગવાઈઓના અમલના ખર્ચમાં પ્રથમ ત્રિ-માસિક સમયગાળામાં ગત વર્ષ કરતાં સમગ્રતયા 23.4 ટકાનો વધારો થયો છે તેની વિગતો આપી હતી.બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી નવી બાબતોની 98 ટકાથી વધુ વહીવટી મંજૂરીઓ પણ પ્રથમ ક્વાર્ટરમાં જ આપી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
કેબિનેટ બેઠકમાં જર્જરિત બ્રિજને લઇ CM નારાજ
ઉલ્લેખનીય છે કે,આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ મુખ્યમંત્રી જર્જરિત બ્રિજ મુદ્દે નારાજ થયા હતાં. તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હતો. બ્રિજ દુર્ઘટનાના આંકડાઓના તફાવતને લઇ નારાજ થયા હતાં. દુર્ઘટના પહેલાની સ્થિતિને લઇ અધિકારીઓને ખખડાવ્યા હતાં. બ્રિજ,રોડ,રસ્તાઓનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. 168 બ્રિજ સમારકામ કરવા યોગ્ય હોવાનો રિપોર્ટ મળ્યો હતો.