ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માણસાના અલુવા ગામમાં વર્ષો જૂની પાણીની ઓવરહેડ ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકી જે સમયે તૂટી પડી ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે એક બહુ મોટી રાહતની વાત છે. જોકે, ટાંકી તૂટવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.


રહેણાંક મકાન પર પડી ટાંકી, ઘરનો કુરચો બોલી ગયો

અલુવા ગામની આ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી. આજે અચાનક તે બાજુમાં આવેલા એક રહેણાંક મકાન પર ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીનો હજારો ટન વજનનો કાટમાળ સીધો ઘરની છત પર પડતાં મકાનને મોટું નુકસાન થયું છે અને ઘરની દીવાલો તેમજ છત તૂટી પડી છે. દુર્ઘટના સમયે ઘરના સભ્યો નસીબજોગ બહાર હોવાથી અથવા સમયસૂચકતા વાપરીને હટી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ઘરવખરી અને મકાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ

આ ઘટનાને પગલે માણસા પંથકના સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ઓવરહેડ ટાંકી લાંબા સમયથી બિસ્માર અને જોખમી હાલતમાં હતી, જેના વિશે તંત્રને અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા તંત્રએ આ ટાંકીને સમયસર ઉતારી લેવાની તસદી ન લીધી, જેના પરિણામે આજે એક ગરીબ પરિવારનું આખું મકાન બરબાદ થઈ ગયું છે. સ્થાનિકો હવે ભોગ બનનાર પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: