બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અનો પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી બનાવાયા છે. જ્યારે આ બંને સહિત 85 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચ્યાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 50થી વધુ વાહનો પણ ડિટેઈન કર્યા છે. આ ઘટના મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.


આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર બહાનું હતું

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હકિકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીદડમાં થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી. ત્યાં કોઈપણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈ પહોંચ્યા હતાં. આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર બહાનું હતું.

જ્યાં બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જ્યાં બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા. તેઓ અસામાજિક તત્વોને સાથે લઈને પહોંચ્યા હતાં. આ પૂર્વ આયોજિત કાવતરૂ કોણે કર્યું તે સૌએ જોયું છે. દિલ્હીને બરબાદ કર્યા બાદ લોકોએ પંજાબની પણ હાલત જોઈ છે. દિલ્હીમાં કૌભાંડો કર્યા બાદ કેજરીવાલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આવી રાજનીતિ ના કરો પ્રજાના કામો કરો અને લોકોની વચ્ચે જાઓ.


  • Follow us on: