ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલી બનાવાઈ છે.આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025થી મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.03 કરોડથી વધુ વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. જેના દ્વારા નિગમને રૂ.112.45 કરોડથી વધુની આવક થઈ છે.બસોમાં એપ્રિલ 2025માં જ્યાં 4.60 લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા તેમાં ચાર ગણો વધારો થતા મે 2026માં 17.34 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.આ સંદર્ભે નિગમને દર મહિને રૂ.19.37 કરોડની આવક થઈ રહી છે.
ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટથી કાયમી નિવારણ
નિગમના PRO શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે,નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10500 નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે.અગાઉ પ્રીમિયમ બસોમાં ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ બુકિંગમાં મળેલા પ્રતિસાદને જોતા હવે નિગમ હસ્તકની તમામ સર્વિસો અને તમામ ડેપો ખાતે આ સુવિધાનો અમલ કરવામાં આવ્યો છે.મુસાફરી દરમિયાન મુસાફરોને છૂટા પૈસા બાબતે થતી તકલીફોનું આ ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટથી કાયમી નિવારણ આવશે.આ સાથે મુસાફરલક્ષી સુવિધાઓમાં પણ વધારો થશે.ટેકનોલોજીના આ યુગમાં મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.વર્ષ 2026ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ 39372 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.













