ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચાર સીટ પર હવે ચૂંટણી નહીં યોજાય. કારણ કે રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ જાહેર થયાં છે. ગુજરાત વિધાનસભાએ સત્તાવાર નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ફોર્મ પરત ખેંચવા માટે આજે અંતિમ દિવસ હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો.
ગુજરાત વિધાનસભાનું સત્તાવાર નોટિફિકેશન
ગુજરાત વિધાનસભાએ જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી 2026 અંતર્ગત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.પહેલી જૂન 2026ના રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી.જેમાં નામ નિર્દેશન પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જુન 2026 સુધીમાં ચાર ઉમેદવારના નામ નિર્દેશન પત્રો મળ્યા હતાં.જેની ચકાસણી 9 જુનનાં રોજ કરવામાં આવી હતી અને ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતાં.













