ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો સહિત ખેડૂતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અને વીજ પોલનો મુદ્દો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો.
વીજ પોલ વળતર મુદ્દે તમામ મંત્રીઓ એકમત
કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને લઈને એક મોટો ગરમાવો જોવા મળ્યો હતો. ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના કારણે ખેડૂતોની કિંમતી જમીનને થતા નુકસાન અંગે તમામ મંત્રીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વીજ પોલ ઊભા કરવાના બદલામાં જગતના તાતને હાલમાં જે વળતર મળે છે, તેના કરતાં ઘણું વધુ વળતર ચૂકવવું જોઈએ તેવી મંત્રીઓએ સામૂહિક માગ કરી છે. આ મામલે કેબિનેટના તમામ સભ્યોમાં સંપૂર્ણ એકમત જોવા મળ્યો હતો.













