ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી 'નમો સ્વચ્છતા અભિયાન'ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ગંદકી કરનારા તત્વો સામે અત્યાર સુધીની સૌથી કડક અને સીધી ચિમકી આપી છે. 


હવે કડક વ્યવસ્થા થશે

સીએમ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારનારા લોકો સુધરી જાય, નહીંતર આવા લોકો માટે હવે કડક વ્યવસ્થા થશે જ!"

તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવશે

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચરો નાખનારા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે હવે તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવશે. સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ આપણે તેને આપણો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર બનાવવો પડશે.

દરેક ક્ષેત્રમાં ભેળસેળિયાઓ સામે કડક રેડની કાર્યવાહી 

આ જ મંચ પરથી રાજ્યના આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ જનહિતમાં મોટા નિવેદનો આપ્યા હતા. મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે, 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ અત્યારે વ્યાપક સફાઈ અભિયાન અને શુદ્ધિકરણ ચાલુ છે. હાલ રાજ્યના દરેક ક્ષેત્રમાં ભેળસેળિયાઓ સામે કડક રેડની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી

જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો તેમજ નકલી દવાઓ બનાવી લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું કે ગમે તેટલી વગ ધરાવતા ગુનેગારને પણ બક્ષવામાં નહીં આવે. ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ હવે ગંદકી કરનારા અને ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

                       




આ પણ વાંચો----   Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો


  • Follow us on: