ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. જેમાં બનાસકાંઠા અને જેતપુર (ST)ના ધારાસભ્ય દ્વારા જાહેર હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન અંગે સવાલ કરાયો હતો. જેનો મુખ્યમંત્રી વતી જવાબ આપતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, નાગરિકોની સુવિધા વધારવામાં મદદરૂપ થતા રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને જાહેરહિતમાં બજાર ભાવે જમીન ફાળવવામાં આવે છે.
વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 22 અરજી મળી
બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને જેતપુર (ST)ના ધારાસભ્ય સવજીભાઈ રાઠવાએ જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં તા 31 જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 22 અરજી મળી હતી. જેમાં તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કુલ 16 અરજીને મંજૂરી આપીને આશરે 523297 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.છોટા ઉદેપુર જિલ્લામાં તા 31 જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ 41 અરજી મળી હતી.













