ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે. શક્તિપીઠમાં સોલાર રૂફટોપ પેનલ્સથી સૂર્યઊર્જા ઉપયોગનો મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીએ વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય ઊર્જાશક્તિનો સમન્વય થયો છે.


ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-1ની ગાયત્રી શક્તિપીઠમાં 16.20 કે.વી.ની સોલાર પેનલ એક સ્વૈચ્છીક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે. આ શક્તિપીઠમાં સોલાર રૂફટોપ હેઠળ લગાવવામાં આવેલી આ સોલાર સિસ્ટમનો પ્રારંભ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જે.બી.વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલના હસ્તે ગાયત્રી પરીવારજનો દ્વારા ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો.

ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ-બહેનો રહ્યા હાજર

ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવ અન્વયે શક્તિપીઠ ખાતે પંચ કુંડિય ગાયત્રી યજ્ઞ અને શક્તિપીઠમાં સ્થાપિત દેવ-દેવીઓના પૂજન અર્ચન સાથે આ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનનો કાર્યારંભ થયો હતો. ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગરના પ્રમુખ રાજુભાઈ, મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ બિહોલા અને ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ ગાંધીનગરમાં વસતા ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ-બહેનો આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: