ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. ભારતની આ ભૂમિમાં ધાર્મિક સહિષ્ણુતાની સાથે ઉત્સવોની એક આગવી પરંપરા રહી છે. સામાજિક ઉત્સવોની સાથે અહિંયા ધાર્મિક ઉત્સવો પણ ખૂબ ઉલ્લાસભેર ઉજવાય છે. દેશમાં ઉજવાતા ઉત્સવો પૈકીનો એક ઉત્સવ એટલે ગણેશોત્સવ. ગણેશ ચતુર્થીના પાવન દિવસથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લાવાસીઓ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા છે.
થીમ આધારીત ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું
જિલ્લામાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલોમાં ગણપતિની પ્રતિમાના સ્થાપન દ્વારા લોકો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં ગણેશોત્સવના આ પર્વમાં ગણપતિની સાથે વિવિધ થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં આ વખતે દેશની સિદ્ધીઓ તથા શૌર્યની ઝાંખી કરાવતા ઓપરેશન સિંદુરની થીમ, પર્યાવરણના જતનનો સંદેશો આપતી થીમ, સ્વદેશી થીમ, માટીની પ્રતિમા સહિતની બાબતો સાથેની થીમ અનેક જગ્યા પર જોવા મળે છે. આ ગણેશ પંડાલો પૈકી આણંદના બ્લોક બ્લસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ આણંદ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પંડાલમાં દેશના શૌર્યની ઝાંખી કરાવતું પ્રદર્શન
આ ગણેશ પંડાલમાં વિઘ્નહર્તાની આસપાસ દેશના શૌર્યની ઝાંખી કરાવતું પ્રદર્શન ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા સ્ત્રીસશક્તિકરણ વગેરેના વિવિધ સ્ટેચ્યુ અને બેનર દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જે લોકો માટે આકર્ષણરૂપ બની રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલાના જવાબમાં ભારતના શૂરવીર યોદ્ધા દ્વારા ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ થકી આંતકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. દેશ માટે ખૂબ જ ગર્વની આ બાબતને લોકો સુધી પહોંચાડવા માટે આ ગણપતિ પંડાલ દ્વારા સ્ટેચ્યુ અને પોસ્ટર દ્વારા પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.