દર વર્ષે અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. જેવી રીતે હર્ષ-ઉલ્લાસ સાથે બાપ્પાનું આગમન થાય છે, તેવી જ રીતે ધામ-ધૂમ સાથે બાપ્પાને વિદાય પણ આપવામાં આવે છે. ગણેશ વિસર્જન માટે આ દિવસ સૌથી સારો માનવામાં આવે છે, આજે સવારથી લઈને સાંજ સુધી ખુબ જ ધામધૂમ સાથે ગણપતિ બાપ્પાની વિદાય રાજ્યભરના અલગ અલગ શહેરમાં કરવામાં આવી છે.
શહેરના ભાગળ ચાર રસ્તા પાસે બની ઘટના
ત્યારે સુરતમાં ગણપતિ વિસર્જન યાત્રામાં ઘર્ષણ થયું છે. ગણપતિનું વિસર્જન કરવાના સમયે પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે ઘર્ષણ થતાં બબાલ થઈ છે. શહેરના ભાગળ ચાર રસ્તા પાસે આ બબાલની ઘટના બની છે. ગણપતિનો ટ્રક આગળ લેવાનું કહેતા આ માથાકૂટ થઈ છે, જેને લઈને પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો છે. ત્યારે હજારોની ભીડ વચ્ચે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. જેને પગલે પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જો કે હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે.
ગણેશજીની 80,000થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે સુરતમાં સ્થાપિત ગણેશજીની 80,000થી વધુ પ્રતિમાનું આજે વિસર્જન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલ કૃત્રિમ ઓવેરાની મુલાકાત લીધી, ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ ઉવારામાં કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રીએ ગણપતિ બાપા મોરિયાની ધૂન બોલાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે, ગુજરાતના ખૂણે ખૂણે લોકો નમી આંખો જોડે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. 10 દિવસની સ્થાપનામાં લાખો કરોડો લોકો ગણેશ પંડાલમાં ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા, આ વર્ષે ભક્તિની સાથે શક્તિનું પણ સમન્વય રાજ્યના ગણેશ પંડાલોમાં જોવા મળ્યા. ગણપતિજીની ભક્તિની સાથે સાથે આ વર્ષે સ્વદેશી અપનાવોના નારા લાગ્યા. નવરાત્રીમાં જ મારા રાજ્યના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન ચાલ્યું, રાજ્યના તમામ નાગરિકો સ્વદેશી વસ્તુ અપનાવશે તેઓ મને વિશ્વાસ છે. ગણેશ મહોત્સવમાં રાત દિવસ એક કરીને ભગવાનની પૂજા અર્ચનાનો તહેવાર શાંતિ માટે મહેનત કરી રહેલી પોલીસને હું અભિનંદન આપું છું.