ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ-સોમનાથ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ (દરગાહ)ના ડિમોલિશન દરમિયાન પોલીસ ટીમ પર થયેલા પથ્થરમારાની ગંભીર ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તોફાની તત્વો દ્વારા પોલીસ પર થયેલા આ જીવલેણ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.


17 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે, પોલીસે તાત્કાલિક અસરથી મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા 17 નામજોગ સહિત 100 જેટલા અજાણ્યા તોફાની તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાત્રી દરમિયાન જ પોલીસે વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને 13 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે.

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું

પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે એક નવો દૃષ્ટાંત રજૂ કર્યો છે. ધરપકડ કરાયેલા તમામ તોફાની તત્વોને ઘટનાસ્થળે લઈ જઈને તેમનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કાયદાનો ભંગ કરનારાઓને કડક સંદેશ આપવાનો હતો કે, સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે, અને ફરાર આરોપીઓને પણ ઝડપી લેવા માટે સઘન કવાયત શરૂ કરી છે.

  • Follow us on: