ગીર સોમનાથના પ્રભાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. આ વિવાદના વિરોધમાં ગામના તમામ વેપારીઓએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. આંદોલનકારીઓએ આવતીકાલે આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી હતી. સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે તંત્ર દ્વારા 384 અસરગ્રસ્તોની મિલકતો સંપાદિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈને પણ સત્તાવાર નોટિસ આપવામાં આવી નહોતી.


બે દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ

તંત્ર દ્વારા અત્યાર સુધીમાં મિલકત ધારકો સાથે ચારથી વધુ બેઠકો યોજવામાં આવી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લા બે દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા મામલો વધુ બિચક્યો હતો. અસરગ્રસ્તોનું કહેવું હતું કે તેમને યોગ્ય વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા વગર મિલકતો ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વિરોધને વધુ વેગ આપવા માટે પ્રભાસ પાટણના સર્વ સમાજ દ્વારા આજે બપોરે ગામમાં જઈને દુકાનો બંધ રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી.

વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

જેને તમામ વેપારીઓએ માન્ય રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો. અસરગ્રસ્તોએ પોતાની માંગણીઓ પર ધ્યાન દોરવા માટે આવતીકાલે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આ ઘટનાએ મંદિરના વિકાસ અને સ્થાનિક લોકોના હિતો વચ્ચેના સંઘર્ષને ઉજાગર કર્યો હતો.


  • Follow us on: