ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગીર જંગલની બોર્ડર પર આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો, ખાસ કરીને હોટલો અને રિસોર્ટ સામે સંયુક્ત ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને, ફોરેસ્ટ, રેવન્યુ અને વનતંત્રનું સંયુક્ત ચેકિંગ અભિયાન ગીરની બોર્ડરથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એવા બાંધકામોની ચકાસણી કરવાનો છે જે કાયદેસરની મંજૂરી વિના અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યા છે. સરકારી તંત્ર દ્વારા હવે બાંધકામોના દસ્તાવેજો અને મંજૂરીની કાયદેસરતા ચકાસવામાં આવી રહી છે.
139 ગામોમાં 5 ટીમો દ્વારા વ્યાપક સર્વે
આ સર્વેને વ્યાપક અને ઝડપી બનાવવા માટે તાલાલા ગીર વિસ્તારમાં કુલ પાંચ ટીમો બનાવવામાં આવી છે, જેઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. આ ચેકિંગ અભિયાનમાં ગીર બોર્ડરને સ્પર્શતા 6 તાલુકાના કુલ 139 ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ તાલાલાના 44 અને ગીર ગઢડાના 43 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઊનાના 24, કોડીનારના 22, વેરાવળના 6 અને સૂત્રાપાડાના 4 ગામોમાં પણ સઘન તપાસ ચાલી રહી છે. કલેક્ટરે તમામ ટીમોને 15 નવેમ્બર સુધીમાં આ સમગ્ર વિસ્તારના સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે કડક આદેશ આપ્યો છે, જે દર્શાવે છે કે આ મામલે સરકાર ગંભીર છે.













