રાજ્યના રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે બ્રાહ્મણ (ભૂદેવ) સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે,રાજ્યમાં તેમની વસ્તી લગભગ 70 લાખ જેટલી હોવા છતાં રાજકીય રીતે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ખાસ કરીને વર્તમાન મંત્રીમંડળમાં બ્રહ્મ સમાજના નેતાઓને યોગ્ય અને પૂરતું સ્થાન ન મળતા આ નારાજગી વધુ વકરી છે.બ્રહ્મ સમાજ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક વિશાળ બ્રહ્મ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપ વિરૂદ્ધ બ્રહ્મ સમાજમાં રોષ

ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપ વિરૂદ્ધ બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને અત્યાર સુધી સતત અવગણના થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા બ્રહ્મ સમાજે આ ગંભીર મુદ્દો વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે.

ડિસેમ્બર મહિનામાં એક વિશાળ બ્રહ્મ મહાસંમેલનનું આયોજન

રાજકીય અવગણનાના આ મુદ્દાને ગંભીરતાથી લઈને બ્રહ્મ સમાજ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક વિશાળ બ્રહ્મ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહાસંમેલનનો મુખ્ય હેતુ સમાજની એકતા દર્શાવવાનો અને રાજકીય પક્ષો સમક્ષ પોતાની તાકાતનો અહેસાસ કરાવવાનો છે.બ્રહ્મ સમાજના નેતાઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે રાજકીય પક્ષો બ્રહ્મ સમાજને માત્ર મત બેન્ક તરીકે જુએ છે. પરંતુ તેમને યોગ્ય સન્માન અને રાજકીય પદ આપવામાં ઉદાસીનતા દાખવે છે. આ મહાસંમેલન થકી સમાજ એક મંચ પર આવીને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે જો તેમની અવગણના ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેની અસર ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે.


  • Follow us on: