હળવદ-માળિયા હાઇવે પર આવેલા રણજીતગઢ ગામ પાસેની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી આજે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. કેનાલમાં તરતો મૃતદેહ જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આજ સવારના રોજ કેનાલમાં એક મૃતદેહ તરતો હોવાનું સ્થાનિક લોકોને ધ્યાનમાં આવ્યું હતું.


રણજીત ગઢ પાસે ધાંગધ્રા કેનાલમાંથી મળ્યો મૃતદેહ 

આ જોતાં તેમણે તરત જ ફાયર બ્રિગેડ અને હળવદ પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મહિલાના મૃતદેહને ઓળખ માટે તેમજ પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો

આ મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માતને કારણે તેનું મોત થયું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ગમગીનીનો માહોલ ફેલાયો હતો. પોલીસ હાલ આસપાસના પોલીસ સ્ટેશનો અને ગુમ થયેલા લોકોના રિપોર્ટ્સની પણ ચકાસણી કરી રહી છે. જેથી મૃતક મહિલાની ઓળખ જલદીથી થઈ શકે.


  • Follow us on: