તાજેતરમાં સુરતના ડિંડોલીમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. અજાણ્યા શખ્સે ગુડસ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી હતી અને ટ્રેનને નુકસાન થાય તેવો પ્રયત્ન કર્યો હતો, જોકે ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હવે હિંમતનગરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા લોકોએ ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


અજાણ્યા ત્રણ શખ્સોએ ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મુકી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી રાજસ્થાનના ઉદેપુર સુધી જતી અસારવા ઉદેપુર ડેમુ ટ્રેનના ટ્રેક પર ટ્રેનને હિંમતનગર પાસે ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા ત્રણ શખ્સોએ ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મુકીને ટ્રેનને ઉથલાવવા માટે પ્રયાસ કર્યો હતો. રેલવેના લોકો પાયલટની સાવચેતીના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના અંગે હિંમતનગર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની તપાસમાં રેલવે પોલીસ સહિત સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે. અજાણ્યા ત્રણ શખ્સોને પકડીને કડક કાર્યવાહી કરાશે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં માલગાડીને ઉથલાવી દેવાનો પ્રયાસ

તાજેતરમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં માલગાડીને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન બરોડાથી મુંબઈ તરફ જતી હતી અને ટ્રેકના પાટા પર લોંખડનો પટ્ટો આડો મૂકયો હતો, ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પટ્ટો આડો આવી જતા લોકો પાયલોટને જાણ થઈ હતી અને નીચે ઉતરીને જોતા સામે આવ્યું કે કોઈએ લોંખડનો પટ્ટો મૂકયો છે અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે, જોકે ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.


  • Follow us on: