પવિત્ર શ્રાવણ માસ એટલે શ્રદ્ધા અને ભક્તિનો માસ, ભક્તો શ્રાવણ માસમાં પોતપોતાના ઈષ્ટદેવને શ્રદ્ધા અને ભક્તિથી ભજે છે અને ધન્યતા અનુભવે છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લીના બિલવાણીયા કંપાથી માં ઉમિયાના ધામ ઊંઝા ખાતે પગપાળા સંઘ જઈ રહ્યો છે. પગપાળા સંઘ રથ લઈ યુવાનો અને વૃદ્ધો મળી 108 ફૂટીની ધજા લઈને માં ઉમિયાનો જયઘોષ સાથે હિંમતનગર પહોંચ્યા છે.


5 દિવસ માં 140 કિલોમીટર કાપી 1 તારીખે ઊંઝા પહોંચશે

અરવલ્લી જિલ્લાના બિલવાણીયા કંપાથી ઊંઝા પગપાળા સંઘ જઈ રહ્યો છે. કડવા પાટીદારની કુળદેવી માં ઉમિયા પગપાળા સંઘ 61 વર્ષ પૂરું કરી 62 માં વર્ષમાં પ્રવેશ કરશે. છેલ્લા 61 વર્ષથી અવિરત પગપાળા સંઘમાં જતા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો ચાલીને જઈ રહ્યા છે. 108 ફૂટની ધજા લઈને ચાલતા માઈ ભક્તોનો રથ અરવલ્લી જિલ્લાથી નીકળી પાંચ દિવસમાં 140 કિલોમીટર કાપી પહેલી તારીખે ઊંઝા ધામ પહોંચશે.

પાટીદારો પગપાળા સંઘમાં સેવાઓ આપી રહ્યા છે

પીવાના પાણી, જમવાની તથા મેડિકલ સુવિધા સહિત અનેક સુવિધાઓ સાથે સંઘ જઈ રહ્યો છે. ગુજરાત ભરના પાટીદારો પગપાળા સંઘમાં સેવાઓ આપી રહ્યા છે. હિંમતનગર મહેસાણા હાઇવે માં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યો છે. શ્રાવણના પવિત્ર માસમાં ભક્તોમાં રહેલ માં ઉમિયા પર રહેલી અપાર શ્રદ્ધા અને વિશ્વાસ તેમને આટલું લાંબુ અંતર કાપવાની શક્તિ આપે છે. ભક્તોની મનોકામનાઓ કે માનતાઓ માં પૂર્ણ કરે છે ત્યારે ભક્તો હર્ષ અને ઉલ્લાસથી પગપાળા સંઘ લઈને માનતા પુરી કરવા માટે જતા હોય છે. જે માં પ્રત્યેનો ભક્તોનો વિશ્વાસ દર્શાવે છે.   


  • Follow us on: