જામનગરના ધ્રોલ નજીક આવેલા વાંકીયા ગામે એક હૃદયદ્રાવક અને કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના સીમ વિસ્તારમાં આવેલા એક પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વાંકીયા ગામ અને ધ્રોલ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


બાળકોને પાણીના ખાડામાંથી બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા

વરસાદી પાણી ભરાયેલા એક ઊંડા ખાડામાં આ ત્રણેય બાળકો રમતા રમતા અચાનક પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારબાદ બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બાળકોને પાણીના ખાડામાંથી બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે ત્રણેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જામ ખંભાળીયામાં મૃતદેહ મળતા ચકચાર

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં પણ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જામ ખંભાળીયાના ઉગમણા બારા ગામ નજીક પુલ નીચેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સલાયા મરીન પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે દોડી આવી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. તપાસ કરતા આ મૃતકની ઓળખ ઝારખંડના સંજયકુમાર રાય તરીકે થઈ છે. જે પ્રાઈવેટ કંપનીના પુલરના ડ્રાઈવરનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોત અંગે સલાયા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: