જામનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા સીએ અલ્કેશ પેઢડિયા દ્વારા 560 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને 112 કરોડ રૂપિયાની કરચોરી કરાઈ હોવાનો સ્ટેટ જીએસટી વિભાગે ધડાકો કર્યો છે. આ કૌભાંડમાં સીએ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી લુક આઉટ સર્ક્યુલર ઈશ્યુ કરાયો છે. આ કેસની તપાસમાં અધિકારીઓ વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ સેવી રહ્યાં છે.


બોગસ બિલિંગ રેકેટમાં સ્ટેટ જીએસટીની મોટી કાર્યવાહી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્ટેટ જીએસટી વિભાગને મળેલી બાતમીને આધારે ત્રીજી ઓક્ટોબર જામનગરમાં 25 સ્થળો પર એકસાથે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સીએ અલ્કેશ પેઢડિયાની ઓફિસ અને નિવાસ સ્થાને પણ તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસ દરમિયાન 14 નકલી પેઢીઓ દ્વારા ખોટા બીલો બનાવીને માલની હકીકત વિના જ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરાતા હોવાનું જાણવા મળ્યું હતું.

21 પેઢીમાં 400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો થયા

ઉલ્લેખનીય છે કે, જામનગરમા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સતત એક સપ્તાહ સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 70 કરોડથી વધુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ પકડાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કૂલ 21 પેઢીમાં 400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ફરાર થયેલા અલ્કેશ પેઢડિયાએ આગોતરા જામીન અરજી કરી હોવાની વિગતો પણ સુત્રોએ જણાવી હતી.


  • Follow us on: