ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. નવા નીર આવવાથી નદીઓમાં ભરપુર પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. બીજી તરફ હાલમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હોવાથી ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે જામનગરના લહેર તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.


લહેર તળાવના પાછલા વિસ્તારમાં બે મૃત્યુહેદ મળ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે નાધેડી નજીક લહેર તળાવના પાછલા વિસ્તારમાં બે મૃત્યુહેદ મળ્યા હતા. જેની ઓળખ થઈ નહોતી ત્યાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ પિતા અને પુત્ર તળાવમાં ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.આશરે 7 વર્ષના બાળક સાથે તેના પિતાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાંજે તળાવના પાછળના ભાગેથી બે વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતાં.

એક જ દિવસમાં કુલ ત્રણ લોકોના મોત

ત્યારબાદ ફરી મોડી સાંજે વધુ એક મૃતદેહ પાણીમાંથી મળતા એક જ દિવસમાં કુલ ત્રણ લોકોના મોત થવાની પુષ્ટિ થઈ છે.જેમા બે યુવાન અને એક બાળકનો સમાવેશ થાય છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી નાધેડી અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ત્રણેય લોકોના ડૂબી જવાથી મૃત્યુ થવાનુ પ્રાથમિક તપાસમા સામે આવ્યુ છે.


  • Follow us on: