રાજકોટના જસદણ તાલુકામાં આવેલા વીરનગર-કનેસરા રોડ નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મૃતદેહ જસદણના કાળાસર ગામના લાલજી ધીરુભાઈ મકવાણાનો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ આ મૃત્યુને સામાન્ય નહીં પરંતુ વ્યાજખોરો દ્વારા હત્યા કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા.


વ્યાજખોરોએ યુવકની હત્યા કર્યાનો આક્ષેપ

વ્યાજની પઠાણી ઉઘરાણી અને ત્રાસને કારણે આ વ્યાજખોરોએ જ તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર આરોપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને જ્યાં સુધી આરોપીઓ ઝડપાઈ ન જાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ ઘટનાના પગલે લાલજીના પરિવાર સાથે મોટી સંખ્યામાં ગામલોકો અને અન્ય લોકો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. જ્યાં મૃતદેહને રાખવામાં આવ્યો છે.

પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો થયા એકત્ર

પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ આરોપીઓને તાત્કાલિક નહીં પકડે તો તેઓ આંદોલન કરશે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના આરોપોને ગંભીરતાથી લીધા છે. વ્યાજખોરીના આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર વ્યાજખોરીના દૂષણ અને તેના કારણે થતી કરુણ ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો છે.


  • Follow us on: