જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જ્યાં લીઝ નથી આપવામાં આવી તેવા વિસ્તારોમાં પણ ખનન થઈ રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢના ચોરવાડ વિસ્તારમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનું જણાવ્યું છે.
ગેરકાયદે ખનન રોકવાને બદલે અધિકારીઓ મોટા હપ્તા લે છે
ગેરકાયદે ખનીજ ચોરીના કારણે ખાણમાં કામ કરતા ગરીબ મજૂરો મુશ્કેલીમાં મુકાય છે. તેમણે કહ્યું કે અધિકારીઓ મોટા માલિકોને પકડવાને બદલે નાના મજૂરોને પકડે છે. ખનીજ માફિયાઓ ડુપ્લીકેટ રોયલ્ટી બનાવીને મજૂરોને ફસાવે છે અને ગેરકાયદે ખનન રોકવાને બદલે અધિકારીઓ મોટા હપ્તા લે છે. ગેરકાયદે ખનનના કારણે ચોરવાડનો વિકાસ પણ અટકી ગયો છે. તેમણે માગ કરી છે કે જો ચોરવાડમાં કાયદેસર લીઝ આપવામાં આવે તો વિસ્તારનો વિકાસ થઈ શકે છે. આ ગેરકાયદે ખનનથી ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે. ખેતરોની આસપાસ ચાલતી ખાણોના કારણે પાકને નુકસાન થાય છે અને ખેડૂતો આ ખાણો બંધ કરવાની માગ કરી રહ્યા છે.













