જૂનાગઢ સ્થિત પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં સમગ્ર ગુજરાતના સંત સમાજ અને તેમના અનુયાયીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહાદેવ ભારતી બાપુએ આશ્રમમાંથી ગુમ થતા પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે કેટલાક શખ્સોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી આ કેસની ગંભીરતા વધી છે. મહાદેવ ભારતી બાપુ ગુમ થયાની જાણ થતાં જ પોલીસ દ્વારા તેમની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સંદેશ ન્યુઝ પહોંચ્યું મહાકાળી ધામ
આ તપાસના ભાગરૂપે મહાદેવ ભારતી બાપુ ગુમ થતા પહેલાં જ્યાં રોકાયા હોવાનું અનુમાન છે તેવા મહાકાળી ધામ સુધી પણ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી. જે દર્શાવે છે કે તપાસનું કેન્દ્ર આશ્રમ ઉપરાંત અન્ય સ્થળો સુધી પણ લંબાયું છે. આ આઘાતજનક ઘટનાથી મહાદેવ ભારતી બાપુના શિષ્યો અને ગુરુભાઈઓમાં ગમગીની છવાઈ ગઈ છે. તેમના નજીકના શિષ્ય રાજેશ્વરાનંદ બાપુ આ સમગ્ર મામલે સખત ચિંતામાં છે.













