નાગલપુર, ખીમપાદર અને જૂનાગઢને જોડતો નદી પરનો પુલ હવે માત્ર એક માર્ગ નથી રહ્યો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે, આ પુલ હાલમાં ગંભીર રીતે બિસ્માર હાલતમાં છે અને ગ્રામજનો માટે જીવલેણ જોખમ બની રહ્યો છે. હદ તો ત્યાં છે કે, ચાર વર્ષ પહેલા જ પુલના કામ માટેનું ટેન્ડર મંજૂર થઈ ગયું હોવા છતાં, આજે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.


સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે પ્રચંડ આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે

ચોમાસામાં ભયંકર પૂરના કારણે પુલની બંને બાજુની રેલિંગ સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને રસ્તા પર સુરક્ષા માટે એક તણખલું પણ બચ્યું નથી, આ પુલની જર્જરિત અને નીચી સ્થિતિને કારણે ગ્રામજનોને સૌથી મોટી મુશ્કેલી ઇમરજન્સી અને બીમારીની પરિસ્થિતિમાં પડે છે. આ ગામનો એકમાત્ર રસ્તો છે. જો ગામમાં કોઈ વ્યક્તિ ગંભીર બીમાર હોય અને નદીમાં પાણી આવી જાય, તો તેને હોસ્પિટલ પહોંચાડવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

ટેન્ડર મંજૂર થઈ ગયુ પણ બ્રિજ ના બન્યો

ગ્રામજનો સતત પાંચ વર્ષથી આ 'મોતના કૂવા'ને સુધારવા માટે તંત્રના પગ પકડી રહ્યાં છે, પણ સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. "જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ પુલ બનાવવાની મીઠી વાતો કરીને જાય છે, પણ કામ કોઈ કરતું નથી. આ ગામના લોકોના ભાગે માત્ર ને માત્ર રાજકારણની અવગણના જ આવી છે. બીજી તરફ આર એન્ડ બી વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાનું જાણવા મળી રહ્યું છે, ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરવામાં આવશે અને લોકોની માગણી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધાર આપી છે. ચાર વર્ષથી મંજૂર પડેલું પુલનું ટેન્ડર તાત્કાલિક ધોરણે ઉપાડીને નવા અને ઊંચા પુલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે. જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી તૂટેલી રેલીંગ મજબૂત કરવામાં આવે અને આ ખરાબ રસ્તાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય તેવી માગણી કરી છે.


  • Follow us on: