કચ્છ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ૬,૨૭,૭૭૭ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે. તેની સામે આ વર્ષે ખેડૂતો દ્વારા વિક્રમજનક કહી શકાય એટલું ૬,૪૧,૮૨૫ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે. જે સરેરાશ કરતાં ૧૪,૦૪૮ હેક્ટરમાં વધુ વાવેતર થવા પામ્યું છે. કારણ કે, પ્રથમ રાઉન્ડમાં વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી, જેના પગલે ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા હતા. બીજા રાઉન્ડમાં પણ મેઘમહેર થઇ હતી.
આ વર્ષે ખેડૂતો દ્વારા ૬,૪૧,૮૨૫ હેક્ટર વિસ્તારમાં વાવેતર
જેને કારણે ખેડૂતો દ્વારા સારા એવા પ્રમાણમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ દિવેલાનું ૧,૬૪,૩૨૬ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળીનું ૧,૨૯,૬૦૦ હેક્ટરમાં અને કપાસનું ૭૭,૪૪૫ હેક્ટરમાં વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છમાં પિયતની વ્યવસ્થા ધરાવતા ખેડૂતોએ પ્રથમ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી હતી. જ્યારે અન્ય ખેડૂતોએ વરસાદ બાદ અષાઢી બીજથી હળનું પૂજન કરીને વાવેતરનો પ્રારંભ કર્યો હતો. આ વખતે ચોમાસું પણ વહેલું બેસી ગયું હતું, જેને કારણે પ્રથમ રાઉન્ડમાં તમામ તાલુકામાં સર્વત્ર મેઘ મહેર થવા પામી હતી. જેને કારણે ખેડૂતોનો ઉત્સાહ વધ્યો હતો, તો બીજા રાઉન્ડમાં પણ વરસાદની થયેલી મહેરને પગલે આ વર્ષે ખેડૂતો દ્વારા ૬,૪૧,૮૨૫ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
Also Read
Kachchh News: જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ, ગરબી મંડળીઓ દ્વારા મૂર્તિઓનું 30 ટકા બૂકિંગ
Kachchh : શિવભક્તો શ્રાવણ માસમાં એકટાણું કરી શિવભક્તિમાં રહ્યા લીન, અમાસના દિવસે યોજાયા અનેકવિધ કાર્યક્રમો
Kachchh : જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાની નવતર પહેલ, શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો
મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલાના પાકનું વાવેતર
નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિના જણાવ્યા અનુસાર પિયત ધરાવતાં ખેડૂતો દ્વારા ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરવામાં આવ્યા બાદ ચોમાસાનાં પ્રારંભ સાથે અન્ય ખેડૂતો દ્વારા પણ વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમાંય પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદને પગલે ખેડૂતો ઉત્સાહભેર વાવેતરમાં જોડાયા હતા, તો બીજા રાઉન્ડમાં આવેલા વરસાદને પગલે ખેડૂતોનો ઉત્સાહ બેવડાયો હતો, પરિણામે આ વખતે સરેરાશ વાવેતર કરતાં પણ ૧૪,૦૪૮ હેક્ટર વિસ્તારમાં વધુ ખરીફ પાકનું વાવેતર થવા પામ્યું છે, જેમાં મુખ્યત્વે બાજરી, મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે.
કપાસનું ૭૭,૪૪૫ હેક્ટરમાં વાવેતર
ખેડૂતો દ્વારા આ વખતે કચ્છમાં ખરીફ પાકના કરાયેલા વાવેતર ઉપર નજર કરવામાં આવે તો, બાજરીનું ૨૬,૨૩૭ હેક્ટરમાં, જુવારનું ૪૦૦ હેક્ટરમાં, મકાઇનું ૨૦ હેક્ટરમાં, તુવેરનું ૮,૦૩૬ હેક્ટરમાં, મગનું ૩૨,૨૪૨ હેક્ટરમાં, મઠનું ૩,૩૧૫ હેક્ટરમાં, અડદનું ૩,૪૩૦ હેક્ટરમાં, અન્ય કઠોળનું ૨,૦૭૫ હેક્ટરમાં, મગફળીનું ૧,૨૯,૬૦૦ હેક્ટરમાં, તલનું ૨૭,૩૪૬ હેક્ટરમાં, દિવેલાનું ૧,૬૪,૩૨૬ હેક્ટરમાં, કપાસનું ૭૭,૪૪૫ હેક્ટરમાં, ગુવારનું ૪૬,૫૨૬ હેક્ટરમાં, મીંઢિયાવળનું ૧૯૫ હેક્ટરમાં, શાકભાજીનું ૧૦,૧૪૫ હેક્ટરમાં અને ઘાસચારનું ૧,૧૦,૪૮૭ હેક્ટર મળી કુલ ૬,૪૧,૮૨૫ હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.
રાપર તાલુકામાં સૌથી વધુ ૧,૫૩,૪૪૦ હેક્ટરમાં વાવેતર
કચ્છનાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા આ વખતે કરાયેલા ખરીફ પાકનાં વાવેતરમાં મુખ્યત્વે અબડાસા તાલુકામાં ૮૬,૨૩૪ હેક્ટરમાં, અંજાર તાલુકામાં ૪૯,૪૫૦ હેક્ટરમાં, ભચાઉ તાલુકામાં ૧,૧૩,૦૫૦ હેક્ટરમાં, ભુજ તાલુકામાં ૬૭,૭૬૩ હેક્ટરમાં, ગાંધીધામ તાલુકામાં ૨,૫૯૦ હેક્ટરમાં, લખપત તાલુકામાં ૨૭,૫૬૧ હેક્ટરમાં, માંડવી તાલુકામાં ૫૮,૮૮૩ હેક્ટરમાં, મુન્દ્રા તાલુકામાં ૨૪,૬૪૪ હેક્ટરમાં, નખત્રાણા તાલુકામાં ૫૮,૨૧૦ હેક્ટરમાં અને રાપર તાલુકામાં ૧,૫૩,૪૪૦ હેક્ટર મળીને કુલ ૬,૪૧,૮૨૫ હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે.










