કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાં અંગદાન જાગૃતિ સાથે અંગ પ્રત્યારોપણનાં અનેક પ્રેરણારૂપ કિસ્સાઓ પૈકી વધુ એક સફળ પ્રત્યારોપણને કારણે બાળકને નવજીવન મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. કચ્છની મોટા ખાખરના ખેડૂતનો 10 વર્ષીય બાળકને તાજેતરમાં કિડની અંગેનું સફળ પ્રત્યારોપણ થયા બાદ તે અત્યારે સ્વસ્થ્ય જીવન ગુજારી રહ્યો છે. એટલું જ નહીં તે અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.


અત્યાર સુધીમાં 280 વખત તેમને ડાયાલીસીસ માટે ભુજ સુધી આવવું પડયું

આ અંગે અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે 21 મે 2025ના દિવસે મોટી ખાખરના કનૈયા દેવાંગ ગઢવીના 10 વર્ષીય બાળકને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. તેને જન્મ જાત એક કિડની હતી, પરંતુ 2023થી આ કિડની પણ ખરાબ થઈ ગઈ હતી, જેને કારણે તે ડાયાલીસીસ ઉપર આવી ગયો હતો. અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલીસીસ કરવાની જરૂરિયાત પડતી હતી. અત્યાર સુધીમાં 280 વખત તેમને ડાયાલીસીસ માટે ભુજ સુધી આવવું પડયું હતું. વળી, આ બાળક અભ્યાસ માટે શાળાએ પણ માત્ર પરીક્ષા પુરતો જ જતો હતો. પરંતુ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તે સ્વસ્થ્ય છે.

બાળક હાલમાં નોર્મલ જીવન જીવે છે

ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીને માત્ર શારીરિક પીડા નથી હોતી પરંતુ તેનો પરિવાર આખાની તે પીડા હોય છે. કારણ કે દર વખતે ડાયાલીસીસ સમયે પરિવારના સભ્યને સાથે રહેવું પડતુ હતું. બાળકના પિતા ખેતીનું કામ કરતા હતો, તેથી તેમને કામમાં પણ વિક્ષેપ પડે તે સ્વાભાવિક છે. ત્યારે આવા કિસ્સામાં અંગદાન કરનાર જેતે વ્યક્તિને કારણે માત્ર દર્દીને જ નહીં, પરંતુ તેના પરિવાર આખાને દર્દમાંથી મુક્તિ મળતી હોય છે. આર્થિક બાબતે પણ રાહત થતી હોય છે. આગામી દિવસોમાં આ બાળક પરેજી પૂર્ણનું જીવન જીવશે તો જીવનભર એક કીડની ઉપર જીવન જીવી શકશે. કિડનીના દર્દીને તો પાણી પીવા ઉપર પણ પ્રતિબંધ હોય છે, પરંતુ આ બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આજે તે રોજનું 4-5 લીટર પાણી પીવે છે. ખુબ સ્વસ્થ પણે જીવે છે. જમી શકે છે, રમી શકે છે. ઓર્ગેન ડોનેશન થકી બાળકને નવ જીવન મળ્યુ છે. આ સંપૂર્ણ ટ્રીટમેન્ટ તેમને શાળા આરોગ્ય ચકાસણીમાં મફત થઈ છે, તે મહત્વની બાબત હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

અઠવાડીયામાં ત્રણ વાર ડાયાલીસીસમાંથી મુક્તિ મળી

મોટી ખાખરના બાળક કનૈયાએ જણાવ્યું હતું કે, મને જન્મથી કિડનીની તકલીફ હતી, દોઢ માસનો થયો ત્યારે પિતા દેવાંગભાઈ ગઢવીને ખબર પડી કે, મને એક જ કિડની છે. 2023 સુધી કિડની કામ કરતી હતી, પરંતુ બાદમાં તે પણ ખરાબ થવા લાગી હતી, જેને કારણે ફરજિયાત ડાયાલીસીસ કરાવવા જવું પડતુ હતું. અઠવાડીયામાં ત્રણ વાર 50 કિલમીટર દુર ભુજ ખાતે આવવું પડતુ હતું. પરંતુ 21 મે 2025ના કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ. 9 દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ હવે મારૂ જીવન સ્વસ્થ્ય છે, ડાયાલીસીસથી છુટકારો મળી ગયો છે. હું અન્ય પરિવારોને પણ અંગદાન માટે જાગૃતિ લાવે તેવી અપીલ કરૂ છું, જેથી મારા જેવા બાળકોને નવજીવન મળે.

  • Follow us on: