ખંભાત નગરપાલિકાના સત્તાધીશોની ઘેર બેદરકારી બહાર આવી છે. લોકોના જાનમાલનું રક્ષણ કરવા રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહેલા ખંભાત ફાયર બ્રિગેડના ફાયર વાહનો તથા એમ્બ્યુલન્સ ઉપરાંત લોકો જેનો અવર જવર માટે ઉપયોગ કરે છે તેવી સિટી બસ પણ વગર વીમાએ દોડી રહી છે
ઇમરજન્સી વાહનો જ વીમા વગરના છે
આ ગંભીર બાબત અંગે મળેલી જાણકારી મુજબ ખંભાત નગરપાલિકાના વાહનો વીમા વગર જ દોડી રહ્યા છે જેમાં ફાયરના વાહનોનો સમાવેશ થાય છે. ફાયરના વાહનો અને એમ્બ્યપલન્સ તો ઇમરજન્સીમાં રસ્તા પરથી ફુલ સ્પીડમાં દોડતા હોય છે અને જો કોઇ અકસ્માત સર્જાય અને તે વાહનનો વીમો જ ના હોય તો કઇ રીતે કાયદાકીય કાર્યવાહી થશે તે મોટો સવાલ છે. જ્યારે કોઇ અકસ્માત સર્જાય ત્યારે વીમો કામમાં આવે છે પણ અહીં તો પાલિકાના સત્તાધીશો જ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.
50થી વધુ વાહનોના વીમા રિન્યુ થયા નથી
જાણવા મળેલી માહિતી મુજબ ખંભાત પાલિકામાં અંદાજે 50થી 60 વાહનો એવા છે કે તેમનો વીમો જ નથી.છેલ્લા 4 વર્ષથી આ વાહનોનો વીમો રિન્યુ કરાયો નથી. 2021 બાદ પાલિકાએ જાણે વીમા પર ધ્યાન જ આપ્યું નથી અને વીમો ભરવાનું જ બંધ કરી દીધું છે.
વીમો ભરાઇ જશે તેવો લૂલો બચાવ
જો કે આ મામલો બહાર આવતા ફાયર બ્રિગેડના અધિકારીએ વીમો જલ્દી ભરી દેવાશે તેવું નિવેદન આપ્યું છે પણ 4 વર્ષથી વાહનો વગર વીમાએ રસ્તા પર દોડ઼ી રહ્યા હતા ત્યાં સુધી કોઇ અધિકારીએ કેમ એક્શન ના લીધા તે એક મોટો સવાલ છે.
કાર્યક્રમો કરવા પૈસા છે પણ વીમા માટે નથી
નવાઇની વાત તો એ છે કે લોકો જેનો રોજબરોજ ઉપયોગ કરી રહ્યા છે તે સિટી બસની બસોનો પણ વીમો રિન્યુ કરાયો નથી તો ડોર ટુ ડોર કલેક્શન માટે દોડતી વાનોનો પણ 4 વર્ષથી વીમો રિન્યુ કરાયો નથી. આમ તો ખંભાત પાલિકાના સત્તાધીશો પ્રજાના ટેક્ષના નાણાથી અનેક કાર્યક્રમો કરી નાખે છે પણ તેમની પાસે વીમો ભરવાના પૈસા નથી તે ગંભીર બાબત છે.
નાણાં ક્યા ગયા તે તપાસનો વિષય
ખંભાત પાલિકાના અગાઉના સત્તાધીશોએ વીમાના નાણાનો ઠરાવ પાસ કર્યા બાદ તે તે નાણાં ક્યા ગયા તે તપાસનો વિષય છે. કરોડો રૂપિયાના વાહનો પાલિકાએ ખરીદ્યા હતા તે આજે ધૂળ ખાઈ રહ્યા છે.
આરટીઓ પણ પાલિકાની ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહી છે
પાલિકાના સત્તાધીશો દ્વારા RTOના નિયમોનો 4 વર્ષથી ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાઇ રહ્યું છે અને આરટીઓ પણ પાલિકાની ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહી છે. જો કોઇ સામાન્ય વાહન ચાલક વીમો ના ભરે તો આરટીઓ તેની સામે કડક કાર્યવાહી કરે છે તો પાલિકા સામે હજું સુધી કેમ કાર્યવાહી કરાઇ નથી તે મોટો સવાલ છે. પાલિકાના ઇમરજન્સી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સ્કોર્પિયો સહિતના વાહનો 4 વર્ષથી જોખમી રીતે દોડી રહ્યા છે. પાલિકાના ઇમરજન્સી વાહનોમાં કોઈ જાનહાનિ અથવા અકસ્માત થશે તો જવાબદાર કોણ તેવા વેધક સવાલો સામે આવ્યા છે













