કચ્છ જિલ્લાના માતાના મઢ આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે દર્શનાર્થે આવે છે.જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ દ્વારા જાહેરનામું બહાર પાડીને બીજી ઓક્ટોબર સુધી મંદિરમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ કે શ્રીફળ લઈ જવા મનાઈ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ઓછામાં ઓછી ચાર મહિના અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે.


અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રસ્તાનું જાહેરનામું

નવરાત્રિ દરમિયાન અનેક લોકો પગપાળા માતાના મઢ ખાતે દર્શને આવે છે. આ સમય દરમિયાન મંદિર પાસે મોટો મેળો યોજાતો હોવાથી પદયાત્રીઓને ટ્રાફિકને કારણે મુશ્કેલી પડે છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બીજી ઓક્ટોબર સુધી વાહનોની અવરજવર માટે હુકમો જાહેર કરવામાં આવ્યાં છે. મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે લીફરી લિગ્નાઇટ ખાણ માટે લીફરી ખાણ મેઈન ગેટથી બંને તરફ એક કિ.મી. સુધીના વિસ્તારને “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સેવા કેમ્પ માટેનું જાહેરનામું

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્‍યા અનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રદ્ધાળુઓ માટે કચ્‍છ અને કચ્‍છ બહારની જે સંસ્‍થાઓ તરફથી રસ્‍તાની સાઇડમાં કેમ્‍પ રાખવામાં આવે છે. આ કેમ્પના આયોજકોએ તમામ પ્રકારની વિગતો આપવાની રહેશે. કેમ્પના આયોજકો માટે મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યાં છે. કેમ્‍પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્‍પના સંચાલકોએ જાહેર રસ્‍તા કે મુખ્‍ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા કરવા નહીં.સેવા કેમ્‍પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્‍યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરાશે.


  • Follow us on: