કચ્છના ભચાઉ તાલુકામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને ખાતરની અછત, કેનાલના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર, સિંચાઈ માટે પાણીની અછત અને વિવિધ યોજનાઓમાં સબસિડી સમયસર ન મળવા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


કચ્છના ભચાઉમાં કિસાન સંઘ મેદાને

કિસાન સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ભચાઉ વિસ્તારના ખેડૂતો હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક હોવા છતાં ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી જેના કારણે વાવણીમાં વિલંબ થઇ રહ્યો છે. આ ઉપરાંત કેનાલના સમારકામ અને નવા નિર્માણના કર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, નબળી ગુણવત્તાવાળા કામના કારણે કેનાલોમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી.

ખાતર, કેનાલ, સબસિડી, પાણીને લઇ રજૂઆત

વધુમાં, ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની અનિયમિતતા અને પાક વીમા યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ સબસિડી સમયસર ન મળતી હોવા અંગે પણ રજૂઆત કરી હતી. કિસન સંઘે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં ખેડૂતોના આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવેતો ભચાઉના ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને ગાંધીચિંધ્યા માર્ગે રસ્તા રોકો સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.


  • Follow us on: