કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાની બે અલગ અલગ કરૂણ ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રથમ હૃદયદ્રાવક ઘટના રાપર તાલુકામાંથી સામે આવી છે, જ્યાં ફતેહગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે સ્થાનિક યુવકો અકસ્માતે પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તુરંત સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા
ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર ફાઇટર્સ અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના વહેતા પાણીમાં યુવકોની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફાયરની ટીમ જ્યારે સફળતાપૂર્વક યુવકો સુધી પહોંચી, ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બંને યુવકોના શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત નીપજ્યા હતા. ફાયરની ટીમે બંને યુવકોના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા.













