કચ્છના પ્રવેશદ્વાર સમાન વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સુરજબારી ટોલનાકા પર સવારથી ભારે હોબાળો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે પર ઓવરલોડ ડમ્પરો અને ટોલ પ્રશાસન વચ્ચે ફાટી નીકળેલા વિવાદના કારણે આશરે 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના લીધે હજારો નાના-મોટા વાહનચાલકો અને એસટી બસના મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.


વધારાનો પેનલ્ટી ચાર્જ વસૂલવાની કામગીરી

મળતી વિગતો મુજબ, સુરજબારી ટોલનાકાના સત્તાધિકારીઓ દ્વારા સરકારી નિયમ અનુસાર ઓવરલોડ માલસામાન ભરીને જતા વાહનો અને ડમ્પરો પાસેથી વધારાનો પેનલ્ટી ચાર્જ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ડમ્પર ચાલકો આ વધારાનો ઓવરલોડ ચાર્જ ચૂકવવા તૈયાર નહોતા. 

 વિરોધ પ્રદર્શન શરૂ 

આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં રોષે ભરાયેલા ડમ્પર ચાલકોએ પોતાના ભારેભરખમ વાહનો ટોલ પ્લાઝાની એન્ટ્રી અને એક્ઝિટ લેનની વચ્ચે જ આડા ઊભા રાખી દીધા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો 

ડમ્પરો બધી જ લેનમાં ખડકાઈ જતાં હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જોતજોતામાં હાઈવે પર 4 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો અને માસૂમ મુસાફરો કલાકો સુધી રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા.

પોલીસ પણ સ્થળ પર પહોંચી

ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો છે અને ડમ્પર ચાલકોને સમજાવીને હાઈવે ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી છે. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ પણ વાહનોની ગતિ ધીમી છે અને વિવાદ શાંત કરવા પ્રયાસો ચાલુ છે. 


આ પણ વાંચો---  Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી



  • Follow us on: