અમદાવાદના ગોતા ચોકડી પાસે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનોને આર્થિક રીતે સદ્ધર કરવાના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી “યુવા રોજગાર યોજના – પ્રથમ તબક્કો 2026” અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કુલ ૫૫ JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. ઉપસ્થિત સમાજના આગેવાનોએ આ પહેલને સમાજ માટે એક ક્રાંતિકારી કદમ ગણાવ્યું હતું.
શિક્ષિત અને સફળ યુવા શક્તિનું ગૌરવવંતુ સન્માન
આ કાર્યક્રમમાં માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ શિક્ષણ અને બૌદ્ધિક ક્ષેત્રે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે યુવાનો વિવિધ સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પરીક્ષાઓ પાસ કરી નવનિયુક્ત અધિકારી તરીકે પસંદ થયા છે, તેમનું મહાનુભાવો દ્વારા મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમાજના અન્ય યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ અને મહેનત જ સમાજના વિકાસની સાચી ચાવી છે, અને યુવાનોએ આ દિશામાં સતત આગળ વધવું જોઈએ.













