અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં આવેલા ઢેઢાળ વાસણા ગામે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામમાં રહેતા ઇન્દ્રજીત મકવાણા નામના યુવક પર તે જ ગામના કાળુ ચૌહાણ નામના શખ્સે અચાનક હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો.
અદાવતમાં હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દ્રજીત મકવાણા અને કાળુ ચૌહાણ વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને રસ્તામાં આંતરીને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી તેના પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરે હુમલો કરતી વખતે બૂમો પાડીને ધમકી આપી હતી કે, "આજે તો તને જીવતો નહીં રહેવા દઉં." હુમલાને પગલે ઇન્દ્રજીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.













