અમદાવાદ શહેરને પીવાનું પાણી પહોંચાડતી રાસ્કા વિયર કેનાલમાં ગૌવંશના કતલ કરેલા અવશેષો મળતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાને કેનાલને દૂષિત કરવાનું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે.


કેનાલમાંથી અંદાજે 25 થી 30 ગૌવંશના પોટલા મળી આવ્યા

ખેડા જિલ્લાના વડથલ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અંદાજે 25 થી 30 ગૌવંશના પોટલા મળી આવ્યા હતા. પોલીસે તમામ પોટલાઓને બહાર કાઢી પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલ્યા હતા તેમજ FSL તપાસ માટે નમૂનાઓ મોકલાયા હતા. FSL રિપોર્ટમાં ગૌવંશ હોવાની પુષ્ટિ થયા બાદ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 નડિયાદમાં પણ છેલ્લા દોઢ મહિનાથી ગૌવંશના કપાયેલા અવયવો મળવાની ઘટનાઓ

આ ઘટનાની સાથે જ નડિયાદમાં પણ છેલ્લા દોઢ મહિનાથી ગૌવંશના કપાયેલા અવયવો મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જવાહરનગર વિસ્તારમાં 12મી વખત ગાયનું કપાયેલું માથું અને અન્ય અવયવો મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

હિન્દુ સેનાના કાર્યકરોમાં ભારે રોષ

હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ સહિત કાર્યકરો સ્થળ પર પહોંચી પોલીસને બોલાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા હંમેશાની જેમ નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી અસામાજિક તત્વો સુધી પહોંચવામાં સફળતા મળી નથી.

મૃતદેહ ગૌવંશના હોવાનું બહાર આવતા ગુનો દાખલ

 ડીવાયએસપી વી એન સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે વડથલ ગામની કેનાલમાં પશુઓના કોથલા તણાઇને આવેલા છે. તેવી માહિતી મળતા પોલીસે વેટરનરી ડોક્ટરને બોલાવીને પીએમ કરાવી નમુના એફએસએલ તપાસ કરાઇ હતી. એફએસએલ તપાસમાં મૃતદેહ ગૌવંશના હોવાનું બહાર આવતા ગુનો દાખલ કરાયો છે. અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોટલાં કોણે નાખ્યા છે તેની તપાસ ચાલું છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદ, વલસાડ, વડોદરા, ગાંધીનગર કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનું ચેકિંગ શરુ

  • Follow us on: