ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને સમુદાયને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો,સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સહિતને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે.અરજદારોએ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલ પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે.જેમાં કહેવામાં આવે છે કે,તમે મગર પર ભરોસો રાખી શકો પરંતુ બલોચ પર નહીં.
વાણી સ્વતંત્રતાનો આડેધડ દુરુપયોગ
અરજદારો દ્વારા માગ કરવામાં આવી હતી કે ફિલ્મ ધુરંધરમાંથી તેમજ તેના પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત બલોચ સમુદાય વિરુદ્ધના તમામ અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે. ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે.અરજદારોનું કહેવું છે કે વાણી સ્વતંત્રતાનો આડેધડ દુરુપયોગ કરી કોઈપણ સમુદાયની લાગણીઓ આઘાત પામે તે સ્વીકાર્ય નથી. આ અરજી અંગે 9 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતી તે દરમિયાન મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર આદિત્ય ધાર તથા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો ને અપમાનજનક સંવાદો દૂર કરવા અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.













