શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઈનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે સાત ઝોનમાં ૬૯૧ વૈજ્ઞાનિક 'વેન્ટિલેશન કોલમ' ઊભા કરાશે. આ કોલમ દ્વારા મીથેન અને કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુઓને સુરક્ષિત રીતે આકાશમાં મુક્ત કરવામાં આવશે, જેથી પાઈપલાઈન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે. તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે.
અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું
અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી. આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે સીવેજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતી હતી, જેના પરિણામે રસ્તાઓ પર મોટા ભૂવા પડવાની ઘટનાઓ વારંવાર બનતી. આ જોખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસ્સી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે.













