અમદાવાદ શહેરના નરોડા-દહેગામ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નરોડા-દહેગામ હાઈવે પર આવેલા એણાસણ ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રેકટરની અડફેટે બાઈક ચાલકનું મોત
ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રેક્ટર ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિવારજનોને જાણ કરવા માટે ઓળખ વિધિ શરૂ કરી હતી.













