અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આજે ટ્રાફિક કમિટી અને સંકલન સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી કાર્યો અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ સ્થાનિક જનતાને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સમક્ષ અલગ-અલગ મુદ્દે ધારદાર રજૂઆતો કરી હતી, જેની પર સકારાત્મક ચર્ચા થઈ હતી.
સરખેજ પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડાશે
ધારાસભ્યએ બેઠકમાં રજૂઆત કરી હતી કે હાલમાં સરખેજ પોલીસ સ્ટેશનની એક જ ઇમારત કે પ્રિમાઇસીસમાં ૩ અલગ-અલગ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જેના કારણે વહીવટી કામગીરીમાં અને અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે આગામી સમયમાં સરખેજ પોલીસ સ્ટેશનને અન્ય અનુકૂળ સ્થળે ખસેડવામાં આવશે તેવી ખાતરી મળી છે. આ ઉપરાંત વિસ્તારની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવા અને ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.













