અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી કરવામાં આવી છે. વર્ષો જૂની જર્જરીત હાલતમાં રહેલી ટાંકીને તોડવા માટે ટાંકી પર JCB ચડાવવામાં આવ્યું હતું. આ JCB કેવી રીતે પાણીની ટાંકી પર ચડાવાયું તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. સારંગપુરમાં ગીચ અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પાણીની ટાંકી હોવાથી તેને તોડવા માટે કામગીરી ધીમી ગતિએ ચાલતી હતી. છેલ્લા દોઢ માસથી આ કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને લઈને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરે નિવેદન આપ્યું હતું.
સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા મુદ્દે DYMCનું નિવેદન
અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા મુદ્દે નાયબ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહ્યું હતું કે, પાણીની ટાંકી જેસીબીની મદદથી તોડાઈ છે. પહેલા આસપાસની દિવાલો તોડવામાં આવી હતી. આ ટાંકી 15 ટન પાણીનું વજન સહન કરી શકે તેમ નહોતુ. 7 થી 8 ટનનું JCB ક્રેનની મદદથી ઉપર ચડાવાયું હતું. સતત ટ્રાફિક હોવાથી પિલ્લર તોડવું શક્ય નહોતુ. સામાન્ય રીતે પીલ્લર તોડી પાણીની ટાંકી ને નીચે બેસાડી દેવામાં આવે છે.













