મેગા સિટી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવાના શોખ વચ્ચે માલિકોની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળક ભોગ બન્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક અને પ્રતિબંધિત ગણાતી 'રૉટવીલર' નસ્લના પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી દીધો છે. શ્વાન માલિક દ્વારા કોઈપણ પ્રકારની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વિના આ ખૂંખાર શ્વાનને જાહેરમાં રેઢો મૂકી દેવામાં આવ્યો હતો, જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે લાડ સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ છે.


9 વર્ષના બાળક પર રૉટવીલરે ઓચિંતો હુમલો કર્યો

મળતી વિગતો અનુસાર, સોસાયટીમાં રહેતા 9 વર્ષના બાળક પર આ રૉટવીલરે ઓચિંતો હુમલો કરીને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. શ્વાન એટલો હિંસક બન્યો હતો કે તેણે માસૂમ બાળકને માથાના ભાગે અને આંખની આસપાસના અત્યંત સંવેદનશીલ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માસૂમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

 શ્વાન માલિક સામે ગુનો

આ મામલે બાળકના પરિવારે શ્વાન માલિકની ગંભીર લાપરવાહી બદલ કાયદાકીય પગલાં ભર્યા છે. વસ્ત્રાપુર પોલીસે શ્વાન માલિક અલ્પાબેન ઉર્ફે અંજલીબેન રાજપૂત સામે બેદરકારી દાખવવા અને જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવા બદલ આકરો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રૉટવીલર પ્રજાતિના શ્વાન અત્યંત આક્રમક માનવામાં આવે છે અને તેને મોઢા પર માસ્ક બાંધ્યા વિના જાહેરમાં લાવવા પર પ્રતિબંધ છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને શ્વાન માલિક સામે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરી દીધી છે. 



આ પણ વાંચો----     Gujarat Latest News Live : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 11 બાળકો સહિત 13ના મોત


  • Follow us on: