અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથક નજીક ધોળા દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જી છે. પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ અશોક ઓડ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ હત્યાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મૃતકના પરિવારજનો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ધોળે દિવસે પોલીસ મથક બહાર જ કરાઇ હત્યા
મળતી માહિતી પ્રમાણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની બહાર જ અજાણ્યા શખ્સોએ અશોક ઓડ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી, ગાયકવાડ હવેલી પોલીસ મથકે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા પરિજનોએ પોલીસ સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો હતો. પરિવારનો આરોપ છે કે પોલીસની હાજરી હોવા છતાં આ પ્રકારે હત્યા થવી તે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે.













