અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીનો દોર યથાવત રહેતા વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે.
વાનર વટ તળાવ ખાલી કરાવાશે
વટવાના વાનર વટ તળાવ વિસ્તારમાં આવેલા ગેરકાયદે કાચા–પાકા બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી માટે તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
500થી વધુ કાચા તથા પાકા બાંધકામનું ડિમોલિશન
મળતી માહિતી મુજબ, તળાવની આસપાસ આવેલા 500થી વધુ કાચા તથા પાકા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે. અગાઉ નોટિસ મળ્યા બાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના બાંધકામ દૂર કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંદાજે 500 પોલીસકર્મી અને 300 મ્યુનિસિપલ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડિમોલિશન અગાઉ 3 જાન્યુઆરીના રોજ કરવાનું હતું
ઉલ્લેખનીય છે કે આ ડિમોલિશન અગાઉ 3 જાન્યુઆરીના રોજ કરવાનું હતું પરંતુ સ્થાનિક લોકોએ 10 દિવસની મુદત માગતા તંત્ર દ્વારા કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. સમયની માંગને ધ્યાને લઈ તંત્રએ લોકોને સ્થળ ખાલી કરવાની તક આપી હતી.
ચંડોળા અને ઈશનપુર વિસ્તારમાં પણ મોટા પાયે ડિમોલિશન થયું હતું
અમદાવાદમાં તળાવો અને જાહેર જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ ચંડોળા અને ઈશનપુર વિસ્તારમાં પણ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા હતા. વટવાના વાનર વટ તળાવની કાર્યવાહી બાદ શહેરમાં વધુ વિસ્તારોમાં પણ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.
પહેલીવાર કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની સાથે ઘર વિહોણા લોકો માટે સુવિધા ઉભી કરાઇ
વટવાના વાનર વટ તળાવના રહીશો રખડી ન પડે માટે એએમસીએ વિશેષ વ્યવસ્થા કરી છે. રહીશોને અન્ય સ્થળે રહેવા માટે એએમટીએસ બસ સ્ટેન્ડ બાય રખાઇ છે અને ઘર વિહોણા લોકોને આશ્રયગૃહ મળી રહે માટે એએમટીએસ બસમાં બેસાડી અન્ય સ્થળે લઈ જવાશે
આ પણ વાંચો---- Ahmedabad : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો, પોલીસે સગીર સહિત 9 લોકોને રાઉન્ડ અપ કર્યા













