ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવાના ભાગરૂપે આજે મહીસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ યાદીમાં સંતુલિત સમીકરણો જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ત્રણ જિલ્લાઓમાં કુલ 8 ઉપાધ્યક્ષો અને 3 મહામંત્રીઓની મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પક્ષે પાયાના સ્તરે કાર્યકરોને સક્રિય કરવા માટે આ કવાયત હાથ ધરી છે.
સંગઠન મજબૂત કરવાની કવાયત
નવા માળખાની ખાસિયત એ છે કે તેમાં પક્ષ પ્રત્યે વફાદાર જૂના જોગીઓની સાથે અનેક નવા અને આધુનિક વિચારધારા ધરાવતા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્ઞાતિગત સમીકરણો અને ભૌગોલિક વિસ્તારને પ્રાધાન્ય આપીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ભાવનગર જેવા મહત્વના જિલ્લામાં પણ સંગઠનને નવો ઓપ આપીને વિરોધ પક્ષો સામે મજબૂત કિલ્લેબંધી કરવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ નિમણૂકો બાદ હવે આગામી દિવસોમાં મંડલ સ્તરના બાકી રહેલા માળખાઓ પણ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.













