ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકરતાં ગઈકાલે મતગણતરી અટકી પડી હતી. ઉગ્ર વિવાદ બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ વકિલોએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેના અટલ કલામ ખાતે મતગણતરી બાદ વિવાદ સર્જાયો હતો.
ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ
ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી યોજાઈ રહી છે. આગામી પાંચ વર્ષ માટે આજે નવા પ્રતિનિધિઓની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. પાંચ દિવસથી વધુ સમય સુધી આ મતગણતરી ચાલી શકે છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ઉમેદવારોને શિસ્ત જાળવવા પણ અપીલ કરી હતી.













