અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકે જ્યારે સેન્ડવીચ ઓર્ડર કરી, ત્યારે તેમાં જીવતી જીવાત ફરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક હોટલ મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી વિરોધ નોંધાવ્યો હતો. હાઈ-પ્રોફાઈલ હોટલમાં આવી બેદરકારી સામે આવતા ગ્રાહકે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.


હોટલને ફટકારાયો 15 હજારનો દંડ

ગ્રાહકની ફરિયાદને આધારે AMCના ફૂડ વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને હોટલ ITC નર્મદા ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને ફૂડ સેફ્ટીના નિયમોમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી. આ બેદરકારી બદલ AMCએ હોટલના ફૂડ બિઝનેસ ઓપરેટરને જવાબદાર ઠેરવીને ₹15,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હોટલને કડક સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

શહેરમાં ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન વધ્યું

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી નામી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી જીવાત કે અખાદ્ય ચીજો મળી આવવાના બનાવોમાં વધારો થયો છે. ITC નર્મદા જેવી લક્ઝરી હોટલમાં પણ જ્યારે આવી ઘટના બને છે, ત્યારે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થાય છે. AMC દ્વારા આ મામલે હોટલને નોટિસ આપીને હાઈજીન જાળવવા માટે તાકીદ કરવામાં આવી છે. શહેરીજનોમાં પણ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વધુ કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: