ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ચિંતા જગાવી છે. આ હારના આઘાતમાંથી બહાર આવવા અને પરાજયના કારણોનું સચોટ વિશ્લેષણ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલથી પાંચ દિવસીય મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝોન વાઈઝ થશે રિવ્યૂ બેઠક
2 મે થી 6 મે સુધી ચાલનારા આ એનાલિસીસમાં પ્રદેશ નેતાઓ, વિપક્ષી નેતા અને વિવિધ ઝોનના પ્રભારીઓની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકો યોજાશે. આ બેઠકોમાં જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની સાથે પ્રભારીઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર કયા કારણોસર થઈ, કયા વિસ્તારોમાં સંગઠન નબળું પડ્યું અને પ્રચારમાં ક્યાં કચાશ રહી તે મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવશે.













