અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સર્કલ પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મળતી માહિતી મુજબ, વિવાદાસ્પદ હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. પાઈપલાઈન ફૂટતા જ પાણીના ઉંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં હાટકેશ્વર સર્કલથી લઈને CTM સુધીના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.


CTM રોડ સુધી પાણી ફરી વળ્યા

આ ઘટનાને કારણે રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ઉનાળાની શરૂઆતમાં પાણીની બચત કરવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે હજારો ગેલન શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. સ્થાનિક રહેવાસીઓમાં પણ આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ભંગાણને લીધે આસપાસના વિસ્તારોમાં પાણીનો સપ્લાય ખોરવાય તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રિપેરિંગની કામગીરી હાથ ધરે તે પૂર્વે મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad News : 27 જાન્યુઆરીએ દેશભરમાં બેંકોના તાળાબંધી, 5-ડે વીક મુદ્દે બેંક કર્મચારીઓનું હડતાળનું એલાન

  • Follow us on: