અમદાવાદ શહેરના ખાડિયા અને શાહીબાગ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી રોડ અને એસ્ટેટ પર દબાણ કરીને ખડકાયેલા બિનપરવાનગી બાંધકામોને તંત્રએ જમીનદોસ્ત કરી દીધા છે. ખાડિયા વોર્ડ હેઠળ આવતા કાલુપુરના મીરઘાવાડ અને પાંચકુવા દરવાજા પાસે મનપાના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરી હતી. અહીં રોડ પર દબાણ કરીને બનાવાયેલી 7 કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી હતી.


7 કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી

ગ્રાઉન્ડ ફ્લોર પર પરવાનગી વગર કરવામાં આવેલા આ બાંધકામો દૂર કરી તંત્રએ અંદાજે 4200 ચોરસ ફૂટ જેટલી મોંઘીદાટ જમીન દબાણમુક્ત કરાવી છે. બીજી તરફ શાહીબાગ વોર્ડના અસારવા વિસ્તારમાં આવેલી અભિષેક એસ્ટેટ વિભાગ-1માં પણ ડિમોલિશન હાથ ધરાયું હતું. અહીં બીજા માળે કોઈ પણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે 5 જેટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા.

4200 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઈ

મનપા દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ દૂર ન કરાતા, આખરે તંત્રએ બુલડોઝરની મદદથી 5000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ શેડ તોડી પાડ્યા હતા. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ઝુંબેશ જારી રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: